વસુંધરાનાં વહેતાં વહેણ’

ઉરમાં આનંદના ઓઘ ઉછાળા મારે તેમ હાલારની ધરતી માથે સાગર ગડહડી રહ્યો છે. કોયલના ટહુકાથી જામનગરના રાજવી દિગ્વિજયસિંહનો રાજમહેલ જાણે  આગંતુકોને આવકારવા ઓળઘોળ બન્યો હોય તેવા વાતાવરણે વાપ્ય જોતો ઊભો છે. રાજમહેલથી દોઢેક ફર્લાંગ દૂરથી બેંડવાજાવાળાઓ, પુરોહિતો અને માથે કળશ ઉપાડેલી કુમારિકાઓ હારબંધ ગોઠવાયેલી છે. તેની પાછળ બહેનો રૃડાં ગીતો ગાય છે. રાજના ભાયાતો, ભેરૃઓ, મહેમાનો સહુ ત્યાં આવી ગયા છે. એવે ટાણે “આઈ સોનલે” ત્યાં ડગ માંડયાં. જામનગરના એક સમયના રાજધણી જામ દિગ્વિજયસિંહજી, મહારાણી ગુલાબકુંવરબા, શિરોહી મહારાવ અભયસિંહજી અને તેમનાં મહારાણી વગેરેએ હારતોરાથી તેમનું અભિવાદન કર્યું. ભોજન પતાવ્યા બાદ એક મોટા ખંડમાં ડાયરો જામ્યો.આ આઈ સોનલ એટલે સોરઠ ધરામાં જ નહીં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન સુધી મહેક પ્રસારતું વ્યક્તિત્વ. જેનાં વેણે  વેણે ફૂલડાંની ફોરમ પ્રસરે એવાં જોગમાયા. સમગ્ર પરગણાના લોકો જેને નમણું કરે એવો દેવાત્મા. મહારાજા દિગ્વિજયસિંહ કાઠિયાવાડી રાજ્યોના  રાજપ્રમુખ બનલા. સૈનિકશાળામાં તાલીમ લઈ રાજપૂતાના રાઇફલ બટાલિયનમાં જોડાયેલા. પરદેશી મોરચે પણ ગયેલા. અસલ રાજપૂતિ રંગે એમનું ઘડતર થયેલું. જૂનાગઢના નવાબ મહોબતખાનજી સાથે દોસ્તી ખરી પરંતુ નવાબે પાકિસ્તાન સાથે જોડાણનો દોર છૂટો કર્યો તે’દી જામ સાહેબે આરઝી હકૂમતને પોતાનો ટેકો જાહેર કર્યો.જામસાહેબે, આઈમા સાથે વાતોનો દોર સાંધ્યો. આઇ સોનલે તો ઘરમેળે શિક્ષણ લીધુંુ હતું. હરદ્વારમાં ગંગા કિનારે તપ આદરી ભારતના ઇતિહાસનાં પાનાં ફેરવવા લાગ્યાં. શાસ્ત્ર જ્ઞાાનને હૈયાની કોઠીમાં ભરવા માંડયા. રાજપૂતો સાચા રાજપૂત બને તે જોવા. ઝંખતાં હતાં. પૃથ્વીરાજ ચૌહાણના સમયકાળ પહેલાંની એક એક ભૂલોનું તાદૃશ ચિત્ર ખડું કર્યું. તેમણે જામસાહેબ સામે દૃષ્ટિ કરતાં ક્હ્યું, જામ સાહેબ  જે તે વખતે રાજવીઓએ તેમની ફરજો યોગ્ય રીતે બજાવી હોત તો દોઢસો-બસો વર્ષ સુધી અંગ્રેજોનાં બેસણાં આ ભૂમિ ઉપર થયાં ન હોત. મોજશોખ અને ગોરાઓના અનુકરણે તેઓ સ્વત્વ ભૂલ્યા તેમની સાથે બેઠેલા પીંગળશી પાયક નામના વિદ્વાન ચારણને જોધપુર મહારાજા માનસિંહ જેમને તેઓ પોતાના ગુરુપદે સ્વીકારતા તે રાજકવિ બાંકીદાસની તે સમયની કાવ્યપંક્તિ સંભળાવવા જણાવ્યું. પીંગળશી પાયકે એ કાવ્યરચના સભા સમક્ષ મૂકી. કેવા હતા એ શબ્દો ?આયો ઇંગરેજ મુલક રૈ ઉપર, આ હંસ લીધા, ખેંચી ઉરા,ધણિયા મરૈ ન દીધી ધરતી, ધણિયાં ઊભાં ગઈ ધરા.ફૌજાં દેખ ન કીધી ફૌજાં, દોયણ કિયા ન ખબાડવા,ખવાં-કાંચ ચૂડૈ ખાવંદરે, ઉણહીજ ચૂડૈ ગઈ અળા.અંગ્રેજ આ મુલક ઉપર ચડી આવ્યો, તેણે દેશની ચેતનાને પોતાના ખૂની હોઠોથી ચૂસી લીધી. આ પહેલાં દેશના સ્વામીઓ મરી ગયા પણ ધરતી બીજાને ન સોંપી. આજે બધા રાજાઓ હોવા છતાં તે અંગ્રેજો પાસે ગઈ. અંગ્રેજોની ફોજો નીરખીને પણ રાજાઓએ પોતાની ફોજો ભેગી ન કરી. દુશ્મનોનો સામનો ન કર્યો અખંડ ચૂડલો ધારણ કરેલ હોવા છતાં ધરતી બીજાને ગઈ !)

‘જામસાહેબ, રાજાઓ કંપની સરકારની ખુશામત કરતા થયા ત્યારથી રાજપૂતી મરી પરવારી ગણાય ! તેમણે આગળ વધતાં કહ્યું,’તમે રાજાઓએ “રામપાતર” લીધાં તે ઠીક ન કર્યું ! આઈ સોનલના શબ્દો શિરોહી મહારાણા જામસાહેબ અને ગુલાબકુંવરબા પણ સાંભળતાં હતા જામસાહેબ જરા ચોંક્યા, ને આઈ સામે દૃષ્ટિ કરી. આઈ સોનલે માથે ભેળિયો પહેર્યો હતો. પગમાં કાંબીઓ, અને હાથમાં કડાં ધારણ કરેલાં હતાં. આઈ સોનલની લીંબુની ફાડય જેવી આંખો મહારાજ સામે મંડાણી. એમની પ્રભાવી મુખમુદ્રા સ્મિત રેલાવતી હતી.

‘આઇમા, કિયાં “રામપાતર”ની સાથે વાત કરતી જામસાહેબે પોતાના બંધ ગળાના કોટના ખિસ્સામાં હાથ નાંખતાં કહ્યું. તેમણે માથે સાફો બાંધ્યો હતો. જામસાહેબના પ્રશ્ને સહુના કાન સરવાં બન્યાં.

આઇએ તેમની દૃષ્ટિ ફરી જામસાહેબ તેમજ ત્યાં બેઠેલાં સહુ ઉપર ફેરવી. એમની મુખાકૃતિ નારાજગીની નઝમો કહેતી હોય તેવું લાગ્યું. મોં ઉપરના ભાવ બદલીને વાણીનો જાણે ઝાટકો માર્યો હોય તેમ બોલ્યાં, ‘કિયાં “રામ પાતર” તે તમે જે સાલિયાણાં સ્વીકાર્યાં તે ! હું એને “ભીખપાતર” કહું છું. આ ભીખપાતર કદી ફૂટી જવાનાં તે નક્કી સમજજો. આપવું હતું તો બધુ જ આપવું જોઈએ. રાજ દઈ દીધું ઇ સારુંુ કર્યું પણ સાલિયાણાંનો મોહ રાખ્યો ? ઓશિયાળા રહેવામાં તમારું મન બગડયું ? તમારો ધર્મ તો દેવાનો છે, લેવાનો નહીં. એમની ચોટદાર વાણી ગોમતીનાં ખળખળ કરતાં નીરની જેમ દિલના દરવાજા ખોલવા માંડી. રાજ્યોની સોંપણીનો તા. ૨૨-૧-૪૮નો કરાર જામસાહેબ સામે દૃષ્ટિગોચર થયો. આઈ સોનલની ભવિષ્યવાણી સાચી પડશે કે શું ? તેઓ ક્ષણભર વિચારી રહ્યા. આઈએ થોડીક ક્ષણો થોભીને ઉમેર્યું., તમારી પાસે હજુ જે સંપત્તિ છે તેનો પ્રજાનાં કામો માટે ઉપયોગ કરજો. મોજ અને વિલાસને બદલે લોકકલ્યાણના પંથે પ્રહરજો !

આઇની વાણી પૂરી થઈ  ત્યાં વચ્ચે જ કોઈક બોલ્યું, ‘આઈમા, હવે તો પ્રજાતંત્ર આવેલું છે તેઓ શુદ્ધ નીતિ અને ન્યાયના માર્ગે ચાલશે ને ?

સહુ આઈ સોનલની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં. આઈએ જ્ઞાાતિબંધનનાં કૂંડાળાં દોર્યાં ન હતાં. મઢડા ગામે હમીરભાઈ ચારણના ત્યાં જન્મ લઈ પંથકના માનવીઓને ઉજળા પંથે દોરવા તરફની એમની નેમ હતી. ભાંગ્યાંના ભેરૃ બની, એવી વ્યક્તિને હૂંફ આપી પુરુષાર્થની દીક્ષા આપતાં હતાં.

‘પ્રશ્ન સાંભળીને એમના મન:ચક્ષુ સામે આઝાદ ભારતમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેખાવા લાગ્યા. કેટકેટલાં બલિદાનો પછી આઝાદીનો દીપક પ્રગટયો હતો ! લોકોએ એમના ઉપર વિશ્વાસના માળા બાંધ્યા છે. એ લોકો લક્ષ્મણરેખા ઓળંગે તો ? પ્રશ્ન પૂછનાર જાણે શંકાનાં વાદળો ઊભાં કરવા લાગ્યો હોય તેવું જણાતાં આઈ સોનલ બોલ્યાં, પ્રજાતંત્રના પ્રધાનો શુદ્ધ નીતિ અને ન્યાયવાળા છે તેવું તો તરત જ કહી ન શકાય. તેઓ શુદ્ધિ જાળવશે નહીં, ન્યાયના પંથે પગરણ માંડશે નહીં તો તેઓનું રાજ ટકી શકે નહીં. પ્રજાની જે કોઈ વ્યક્તિ સેવા કરશે, નીતિનો માર્ગ પકડીને આગળ વધશે તેમનો આદર થશે બાકીનાંને જાકારો મળશે ! આઇએ ભવિષ્યવાણી વહેવડાવી.

બપોરનો સૂરજ રણજિત સાગર તળાવ ઉપર નમ્યો ને આઈએ વિદાય લીધી. જામસાહેબ, સૌરાષ્ટ્રના આ નિરક્ષર ચારણ્ય આઇને વંદી રહ્યા અને મનોમન બોલ્યા,’ આવી જુગદંબાઓએ જ રજવાડાંને યોગ્ય પંથે દોરી એેનાં રખોપાં કર્યાં છે ને ?”

એ સંવાદ ના રચાયો

એ સંવાદ ના રચાયો

અવંતિકા ગુણવંત

સિરિની જીભને કોઈ લગામ ન હતી. સ્વભાવમાં કોઈ સંયમ ન હતો. ધાર્યું ના થાય એટલે એ ભભૂકી ઉઠતી.

એનો આ એક અવગુણ એના બધા ગુણોને નિરર્થક બનાવી દેતો હતો. એનામાં અઢળક રૂપ હતું, કામકાજની આવડત હતી, પ્રામાણિકતા હતી, સરચાઈ હતી. પણ જયારે ગુસ્સો આવે ત્યારે એ ધમધમી ઠતી ને બધો વિવેક ભૂલી જતી.

એ નાની હતી ત્યારથી શ્રીમંત વર અને વૈભવી જિંદગીનાં સ્વપ્નાં જોતી હતી, પરંતુ એને વર મળ્યો અમિત. મઘ્યમવર્ગનો શિક્ષિત, આદર્શવાદી, સિદ્ધાંતપ્રિય યુવક. જે મહેનતુ હતો પણ એની આવક સીમિત હતી.

આથી સિરિ અકળાયેલી રહેતી, ગમે ત્યારે બેફામ બોલી કાઢતી, જે જીરવવું અમિતને ભારે થઈ પડતું. પણ અમિત જાણતો હતો કે સિરિના હૃદયમાં પ્રેમનો અભાવ નથી, લાગણીની ઓછપ નથી, પણ જે જિંદગી એને મળી છે એથી એ ધૂંધવાયેલી રહે છે.

પત્નીને સંતોષ આપવાની અમિતને પણ ઇરછા રહેતી. એ એના ધંધામાં વધારે ને વધારે ખૂંપવા માંડયો. નસીબે યારી આપી. એની કમાણી વધી. સિરિ જે માગે એ એને મળવા માંડયું. એનું અભિમાન સંતોષાવા માંડયું, પણ હવે એને પતિનો સાથ-સંગાથ નથી મળતાં. અમિત ધેર આવે ત્યારે સિરિ બબડતી હોય, સાંજ પડે સૌ ફરવા જાય ને મારે તો ઘરમાં સડયા કરવાનું.

સિરિ ગમે એટલો બબડાટ કરે અમિત એને જવાબ ના આપે, એ શું કહે છે એ સાંભળવા ત્યાં ઉભો પણ ના રહે. સિરિ બરાડે ‘અમિત, હું તને કંઈ કહું છું… તને સંભળાતું નથી ?’

અમિત કહેતો, ‘તારે જે કહેવું હોય એ કાગળમાં લખીને મારા ટેબલ પર મૂકી દેજે. હું વાંચી લઇશ.’ એકદમ ઠંડા અવાજમાં અમિત બોલતો ને સિરિ થીજી જતી.

હવે સિરિના કબાટમાં પૈસાનો ઢગલો રહેતો, પણ સિરિ ખુશ નથી. માત્ર પૈસાને એ શું કરે?

ઓફિસે જતા અમિતને એક દિવસ એ કહે છે, ‘આજે આપણા દીકરા કુશની સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું છે. તું ત્રણ વાગે ધેર આવીશ કે સીધો સ્કૂલે પહોંચીશ ?’

સિરિના સવાલનો સીધો જ જવાબ આપવાના બદલે અમિત બોલ્યો, ‘કુશ ખૂબ નસીબદાર છે, એને તારા જેવી મા મળી છે, મા અને બાપ બેઉની ફરજ બજાવે છે, તારી હું કેટલી પ્રશંસા કરું છું, તારી બુદ્ધિની, તારી નિયમિતતાની, તારી કાળજીની, ખરેખર, સિરિ હું તારો આભારી છું.’

આટલું કહીને અમિત ઓફિસ ચાલ્યો ગયો. સિરિ સમજી ગઈ, અમિત પેરેન્ટ્સ મીટિંગમાં નહીં આવે. સિરિ નિરાશ થઈ ગઈ. અમિતને જાણે ઘરમાં જ રસ જ રહ્યો નથી.

એક રાત્રે એ બોલી, ‘હવે તો તું કુશ સાથે રમતોય નથી. દીકરો તને મોટો થઈને પૂછશે, પપ્પા તમે મને શું આપ્યું તો તું શું કહીશ?’

‘બેસુમાર પૈસો’. અમિતે ટૂંકો જવાબ આપ્યો.

‘અને મને, અમિત, પતિ તરીકે તું મને શું આપે છે?’ સિરિએ ઉઘરાણી કરતી હોય એમ પૂછયું

‘મેં તારાં સ્વપ્નાં સાકાર કર્યા., સિરિ, તું મને મહેણું માર્યા કરતી હતી કે હું મહત્ત્વાકાંક્ષી નથી, કમાતો નથી. તો જૉ હું મહત્ત્વાકાંક્ષી બન્યો છું અને તને ધનના ઢગલા પર બેસાડી છે. હવે તું મોજ કર.’

‘પણ પ્રેમ? અમિત, મારે તારો પ્રેમભર્યોસહચાર જોઇએ. તો જ મોજ થાય.’

અમિત હસ્યો. બોલ્યો, ‘સિરિ, મારી મમ્મી એવું કહેતી હતી કે તમારા જીવનસાથીને એટલું ચાહો કે એને કોઈ વસ્તુની ખોટ ના સાલે, કોઈ વસ્તુની પડી ના હોય, મારા પિતાની સાવ સાધારણ આવક હતી, આવક વધારવાના પપ્પા કોઈ પ્રયત્ન ન હતા કરતા. પણ એમનો સ્વભાવ મધુર, આનંદી ને પ્રેમાળ હતો. મમ્મી જે ઝંખતી હતી એ બધું પપ્પાના સહવાસમાં એને મળી રહેતું હતું. પ્રેમ સિવાય જાણે બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી એમ તેઓ રહેતાં હતાં. બેઉ સુખી હતાં. હું માનતો હતો, મમ્મી - પપ્પા જેવી જ સ્નેહભરી રંગીન આપણી જિંદગી હશે. પણ…’

આટલું બોલીને અમિત અટકયો, પણ એની આંખોમાં ઉદાસી ભરાઈ આવી હતી. એ આંખોની ભાષા વાંચવાના બદલે સિરિ ચીસ પાડતી હોય એમ બોલી, ‘મારે પણ પ્રેમ જોઈએ છે, કયાં છે પ્રેમ?’

‘પ્રેમ ભૌતિક ચીજ નથી, એ નરી આંખે ના દેખાય.’

‘દેખાય, દેખાય, અમિત, જો તું દેખાડવા ચાહે તો દેખાય.’ સિરિ ચિત્કારી ઉઠી.

પણ અમિત એને જવાબ આપવા ત્યાં ઉભો ના રહ્યો. એ ત્યાંથી ખસી ગયો.

સિરિ પતિને ઇરછે છે, પણ હવે એનો સંગ અને નથી મળતો. અમિત એનાથી દૂર ખૂબ દૂર જતો ગયો હતો. હાથ લંબાવવાથી પણ એ હાથમાં નથી આવતો. હાથમાં આવે છે, મોંઘાદાટ કપડાં, મૂલ્યવાન આભૂષણો, પરફર્યૂમ્સ ને થોકબંધ કલાત્મક નમૂનાઓ.

અડધી રાતે સિરિ જાગી જઇને જુએ તો અમિત બાજુમાં નથી, કોઈ અજ્ઞાત ડરથી એ ધ્રૂજી ઉઠતી. પસીનો થઈ જતો.

એ ઠીને જોતી તો અમિત કંઈ વાચતો હોય, લખતો હોય. સિરિ ત્યાં દોડી જતી અને બોલતી, ‘આનું નામ જિંદગી કહેવાય ? ના કોઈ આનંદપ્રમોદ, નહીં હરવા-ફરવાનું, બોલવા ચાલવાનું.’

અમિત કંઈ જવાબ આપતો નથી. પત્નીની કોઈ વાત એના હૃદયમનને ઝંકૃત નથી કરી શકતી, એનું સમગ્ર ઘ્યાન, સમગ્ર શકિત એક જ ઘ્યેય પર કેન્દ્રિત થઈ છે. ‘કમાઉં, વધારે પૈસા કમાઉં.’

જોકે અમિત સંસ્કારી છે. એ પૈસા કમાવાની એકે પ્રવૃત્તિ એવી નથી કરતો જે કાયદાનો ભંગ કરે, માનવતાનો હ્રાસ કરે, મા-બાપનું નામ બદનામ કરે, ઘરનાંને નીચું જોવું પડે…

અમિતની સંપત્તિ વધતી ગઈ એમ સમાજમાં માનસન્માન વઘ્યાં, પણ ઘરમાં? ઘરમાં કોઈ સંવાદ નથી. ત્યાં તો બધું ચૂપ છે, બધું શુષ્ક છે, સુકાઈ ગયું છે.